॥ ૐ ॥
(પ્રાણબળ, જ્ઞાનબળ, અવિનાશી બળ આ બધાં બળોને બળ દેનાર એક જ તું અવિનાશી છે અને સહુને અવિનાશી બનાવવા એ તારો અટલ સિધ્ધાંત છે.)
(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)
એક અનાદિ તું અવિનાશી
અવિનાશી એની જેવો કરે,
પૂર્ણાનંદ તું સત્ય પ્રકાશી
અમર ભાવની લહાણ કરે …. ૧
દિવ્ય સ્નેહપૂર્ણ તું હૃદયનિવાસી
કલ્યાણ સૌનું સદાય કરે,
વિજય સ્વરૂપ તું અદૃશ્ય ધ્યાની
વિજયની સાચી સમજ ભરે …. ર
મહા પ્રાણધારી તું મહાન કૃપાળુ
રક્ષા દિન-રાત તુજ કરે,
મુક્ત સદાનો આત્મજ્ઞાની તું
પ્રકાશ તુજ વિણ કોણ ભરે …. ૩
નિર્દોષ જ્ઞાનાનંદ, તું એક જ
શાંતિનો સંચાર, તું જ કરે,
પ્રાણી પ્રાણનો જ્ઞાની તું એક જ
પ્રાણસંચાર બીજા કોણ કરે ? …. ૪
ભાવ પરમનો ભાવિ તું એક જ
એક જ તું, અવિનાશી કરે,
ઘડનારો તુંહી તું સાચો
ભીજા ઘડનારો ખોટો ઠરે …. પ
તારા પ્રાણને તું લેનારો
પ્રાણદાન તુજ વિના કોણ કરે ?
તુંહી તુંહી, ભરીને તુજને આપું
અમર પ્રાણને તું જ કરે …. ૬
મહા પ્રાણનો, પ્રાણ ભરીને
શ્રેષ્ઠ ને લાયક તું જ કરે,
એક અવિનાશી, સઘળું વિનાશી
અવિનાશી સદા અવિનાશ કરે …. ૭
નાભિ સુધીનો પ્રાણ કેન્દ્રિત થાય તો પ્રસન્નતા રહે.
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🥀🌺🌸🕉