॥ ૐ ॥
(પ્રભુના નિયમથી વિરુધ્ધ વર્તન એના જેવું એકે પાપ નથી. પ્રભુ નિયમોનું પાલન સમજીને કરાય, એની અંનદર ત્રણે કાળમાં પાપ રહી શકતું જ નથી.)
(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)
હરિનામની અદ્ભૂત શક્તિ, પાપો સઘળાં હરણ કરે,
વિશુધ્ધ બનાવી સર્વે પ્રાણીને, પ્રેમથી સૌનું કલ્યાણ કરે …. ૧
સત્યના માર્ગે વાળવા સૌને, સતત જાગૃત પોતે રહે,
પ્રભુ આજ્ઞાથી ઊંધા ચાલે, સ્વભાવ દોષથી દુઃખ રહે …. ર
શરણ પ્રભુનું અમૂલ્ય ગણાયે, સમજે છતાં સ્વીકાર નથી,
હૃદયમાં રાખવા એક જ પ્રભુને, પ્રભુમાં કોઈ વિકાર નથી …. ૩
નિર્દોષ પ્રભુજી આપણા ખાતર, રક્ષક બનીને ચોકી કરે,
પ્રભુથી વિમુખ બન્યા તેને, શોક-મોહ ઉપાધિ ખરે …. ૪
ઉપાધિ હરે ને શાંતિ આપે, મંગળદાયક પ્રભુનું નામ,
પ્રભુને ભૂલી આશા-તૃષ્ણાથી, હેરાન હાથે બનતા તમામ …. પ
શીતળતા પ્રભુ નસમાં ભરવા, કામના સંકલ્પ ત્યાગ કરો,
ઈચ્છાશક્તિ પ્રભુની બળવાન, વાસના ત્યાગી ધ્યાન ધરો …. ૬
પ્રભુ સઘળે વ્યાપક રહેતા, પડદો ગર્વનો કાઢી જુઓ,
દેહનો સદાય નાશ થવાનો, પ્રભુજી અવ્યય પૂર્ણ જુઓ …. ૭
પૂર્ણની આજ્ઞા પૂર્ણ બનાવે, વિશ્વાસ ધારણ સત્ય કરો,
દગો પ્રભુજી કદી ન કરશે, અમર ભાવથી જરૂર તરો …. ૮
પ્રભુને મળવા હરખ અતિશે, ભક્તિની ભરતી સદાય રહે,
ઓટ નહિ તો ખોટ ન આવે, વૃત્તિ પ્રભુમાં ચોંટી રહે ….. ૯
પ્રભુના લાભથી બીજા કોઈ, અધિક લાભ કદી જ નથી,
પ્રભુના બનીને પ્રભુમાં રહેવું, સાર્થક જીવન બીજું નથી … ૧૦
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌸💐🌷🕉