॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
હે હરિ ઘાટ ઘડો ઘડવૈયા, ઘડતાં આપને સાચું આવડે,
મનના ઘડેલા ઘાટો ખોટા, જન્મમરણનું બંધન નડે …. ૧
ત્રણ ગુણનું આપી રમકડું, મોહિત સૌ પ્રાણીને કરે,
મોહ નશાનો કેફ્ર ચડાવી, ગર્વ ને મમતાનું ચક્ર ફરે …. ર
આશા-તૃષ્ણાના વધતા તરંગો, સ્થિર બુદ્ધિને મલિન કરે,
જ્ઞાનમાર્ગને છોડી દઈને, સત્ય પ્રકાશથી દૂર કરે …૩
એવા ઘાટથી યુગ વિતાવ્યા, દુઃખના ડુંગર ઊભા થયા,
રસ્તો સાચો તમારો ભૂલી, ઊલટા માર્ગી ત્રાસી ગયા …. ૪
મન-બુદ્ધિની ચાલાકી દેખી, તેમાં સત્યથી અવળી ભાત,
મન-બુદ્ધિને આપ સુધારો, બેસે હૃદયમાં આપની વાત …પ
આપ આજ્ઞાનુ પાલન કરવા, પ્રાણ ઈન્દ્રિયો આપમાં વિચર
બોધ ગીતાનો સાર્થક થાયે, દિન-રાત સ્મરણ તમારું કરે …૬
ઘડો ઘાટ પ્રભુજી ઉત્તમ દૃષ્ટિ આપની સાથે રહે,
અંજન નેત્રમાં આંજા એવું, સ્થિરતા શાંતિ અખંડ રહે …. ૭
ત્રિવિધ તાપથી તપતા હૃદયમાં, આપ સદાય નિવાસ કરો
નેત્ર ને પાણીમાં દિવ્યતા આપો, આપના જ્ઞાનની ભરતી કરો …. ૮
પ્રેમ મધુરતા અચળ ભરીને, આપના ભજનનો વિસ્તાર કરું,
કૃપા એવી આપને જ પામું , સત્ય જ માર્ગથી સદાય તરું …. ૯
॥ ૐ ॥