કેવળ જ્ઞાની વીર પ્રભુજી

॥ ૐ ॥

(રાગ : દેશી)


કેવળ જ્ઞાની વીર પ્રુભજી, જ્યોતિથી જૈનો જગાડજા …. રે

મૂર્છા હઠાવી સૌની, હૃદય આપ દીપાવજા  …. રે           ૧

કર્મો ખપાવે એવું ઊજળું ભાવિ બનાવજા  …. રે

લઘુતાગ્રંથિને તોડી, આત્મબળ આપજા  …. રે             ર

રાગદ્વેષ દૂર ફેંકી, વીતરાગી સમજ બેસાડજા  …. રે

અંતરદૃષ્ટિ ખૂલે, પ્રેમ વિશુધ્ધ ઊજળો  …. રે               ૩

ગર્વ ને આસ્મિતા ગાળી, પ્રાણ સમાતા સત્યમાં  …. રે

કેવળ જ્ઞાન  તાર એક જ, મોહ-શોક દૂર કરી  …. રે     ૪

આપની વાણી અમર, અમૃતવર્ષા કરે  …. રે

સંયમ, શ્રધ્ધા ને ભાવો, કાળાં ધૂએ કાળજાં  …. રે         પ

કેવળ જ્ઞાની જે જાગ્યા, સુરતા એની શાંતિમાં  …. રે

દેહભાવ નાશ પામે, ચૈતન્યમાં દિવ્યતા  …. રે             ૬

જીવન સુગંધ ભરેલી, ભીતરનો ભેજ સૂઝતો   …. રે

ભીતર ખજાનો ભરેલો, વૃત્તિ કેવળ કેળવો    …. રે       ૭

કેવળ જ્ઞાનીની મરજી, કેવળ જ્ઞાની બનાવવા  …. રે

માર્ગ ભૂલેલા સૌને સ્વરૂપમાં નિત્ય સમાવવા  …. રે       ૮


॥ ૐ ॥