॥ ૐ ॥
(રાગ : ગઝલ)
ખરે વખતે ખબર લેવા, ખંતીલો ખંત રાખે છે,
મૂંઝવતા જટિલ પ્રશ્નોના હૃદય ઉકેલ આપે છે.
સનાતન સત્ય વરદાતા, સત્યના સાથમાં રહેતા,
પ્રભુની આજ્ઞા પાળે, સદાયે સહાયતા કરતા …. ૧
॥ ૐ ॥
અનાદિનો દિવાકર એ, દીવો કરી દિલ ઉજાળે,
રાગદ્વેષો હઠાવીને, સત્ય દૃષ્ટિથી નિહાળે.
કોઈના દોષ નહિ દેખે, સરળ સમભાવ અંતરનો,
કેવળ કૃપાળુની કરુણા, અખંડ આનંદ ભરતીનો …. ર
॥ ૐ ॥
પ્રભુમાં વિશુધ્ધ પ્રેમ ભરી, એવી મસ્તી મજાની છે,
વિમુખ પ્રભુથી કરે જુદા, દુઃખોની એ નિશાની છે.
સ્મરણ સમજીને કરવાથી, વૃત્તિ પ્રભુમય બની જાશે,
નિરાશા, શોક, ભય, શંકા, સદાયે દૂર થઈ જાશે …. ૩
॥ ૐ ॥
વિશુધ્ધિ પ્રાણની થાશે, મહાભાવોતણી ભવ્યતા,
દિવ્ય શ્રેષ્ઠ પ્રભુની કળા, પ્રભુદર્શન સમજ દેતાં.
બધાં સ્થળમાં પ્રભુવ્યાપક, અનોખી રીત અજમાવી,
નીરવ શાન્તિ તણી સાને, સહુને દેતા સમજાવી …. ૪
॥ ૐ ॥
કૃતિનો પાર નહિ આવે, અનંત કૃતિઓ અજાણી છે,
પરિપૂર્ણ પ્રભુ પૂર્ણતા, ઘટોઘટમાં સમાવી છે.
છૂપાવી છે છતાં જાહેર, અદ્ભૂત એ સમસ્યા છે,
નથી વીર કોઈ જોડીનો, અજબ રીતે સમાયો છે …. પ
॥ ૐ ॥
🙏જય સદગુરૂ 🙏💐🌼🕉