॥ ૐ ॥
ધન્વંતરિ પ્રભુ આપ, આવીને બતાવો અમને રાહ.
દુઃખથી પિડાતા દરદીઓના, અંતર ઊઠે છે દાહ.
રોગી ખૂબ રોગથી થાક્યાં, નિદાન માટે દોડવા લાગ્યાં.
વૈદ્ય ન સમજે રોગ ને ઔષધ, ધન લેવામાં તૈયાર.
ઘણાં સ્થળ એમ છેતરે પછી, સાચી શ્રધ્ધા ન લગાર.
અમૃત વૈદ્ય હાથમાં આપો, રોગ મટે એવી શાંતિ સ્થાપો.
તનમાં, મનમાં, વાણીમાં એમ, દોષ ભર્યા છે અનેક.
આપ પધારીને શુધ્ધ કરો, આપી જ્ઞાનની સાથે વિવેક.
જાતાં દુઃખ-દરદો જાયે, દિવ્યદૃષ્ટિ વૈદ્યની થાયે.
મૃત સંંજીવની બૂટી બતાવો, અખંડ દીપક ધરી આપ.
શુધ્ધ હૃદય કરી વાસ કરો, મટાડો ત્રિવિધના તાપ.
ક્ષણેક્ષણ સંભાળ રાખો, રોગ સમજવા શક્તિ આપો.
રોગ મટે સૌ દરદી સુખે, હસતાંહસતાં જાય.
શમ-દમ સાધન ભક્તિ કરીને, પ્રભુ પ્રેમી તે થાય.
વિજ્ઞાન પ્રભુ આપનું લાવો, શરણે રાખી આપ ભણાવો.
॥ ૐ ॥